1 બાલાસિનોર, શ્રી કેદારેશ્વર મહાદેવ અને વ્હાલા વાડશોલની વિતેલી વાતોને વાગોળતાં
બાલાસિનોર એ ખેડા જિલ્લાનો એક તાલુકો છે અને બાલાસિનોર તેનું તાલુકાનું ગામ અને મુખ્ય મથક છે. બાલાસિનોર ૨૨.૯૫૦૦ અક્ષાંશ, ૭૩.૩૩૩૩ રેખાંશ અને દરિયાઈ સપાટીથી ૨૩૯ ફૂટ ઊંચાઈએ આવેલું છે. બાલાસિનોર, વાડાશિનોર તરીકે પણ ઓળખાય છે. ત્યાં જુના વખતમાં વડલાના ઘણાં વૃક્ષો હતા. તેના ઉપરથી વડના શહેર એટલે કે વાડાશિનોર નામ તરીકે જાણીતું આ ગામ ગામઠી ભાષામાં વાડશોલ તરીકે પણ ઓળખાય છે. આ ઊપરાંત શ્રી નટવરભાઈ મોદી “વાડશોલના વડલેથી” નામનું અખબાર પણ પ્રકાશીત કરતા હતા.
ગામની નજીક આવેલી ડૂંગરોની હાર માળા કૂદરતી સૌન્દર્યનો ખજાનો છે. ડૂંગર ઉપર શ્રી કેદારેશ્વર મહાદેવનું પ્રખ્યાત શિવાલય આવેલું છે. આ શિવાલય એક ઐતિહાસિક સ્થાન છે. અહીં ભગવાન ભોળા નાથનું સ્વયંભૂં શિવ લીંગ છે.
હું શ્રી કેદારેશ્વર મહાદેવ ઉપર અપાર શ્રધ્ધા ધરાવું છું. શ્રી કેદારેશ્વર દાદા અમારા ઈષ્ટ દેવ છે અને હું અને અમારા સૌ સ્નેહી જન તેને કેદાર દાદા તરીકે ગણી પ્રસંગો પાત્ યાદ કરી પૂજન અર્ચન કરી અમારું ઋણ અદા કરીએ છીએ.
બાલાસિનોરમાં ઘણાં શિવાલય આવેલાં છે. મોઢેશ્વર મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, ગોપેશ્વર મહાદેવ, આપેશ્વર મહાદેવ, ભીમભમરડા મહાદેવ, દેવ ડૂંગરીયા મહાદેવ, શિવ શંભું મહાદેવ વિગેરે શિવાલય જાણીતાં છે. જ્યારે શ્રી કેદારેશ્વર મહાદેવ બધા શિવાલયોમાં શિરમોર છે.
સંકટ મોચન હનુંમાનજી મંદિર અદભૂત છે. ખાખીબાવાનું હનુંમાનજીનું મંદિર પણ છે. અંબા માતાજીનું ભવ્ય મંદિર સલિયાવડી દરવાજા બહાર આવેલું છે. ગામમાં શ્રી ગોકુલનાથજીનું મંદિર, શ્રી રામજી મંદિર તેમજ બીજા નાના નાના મંદિર પણ આવેલાં છે.
જનોડમાં સ્વયંભૂ કેદારેશ્વર પણ આવેલું છે.
બાલાસિનોર ગામના નાગરિકોએ ભારતની આઝાદીમાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. અડાસ રેલ્વે સ્ટેશન પાસે બાલાસિનોરના શહિદોનું શહિદ સ્મારક છે. આ શહિદોમાં શ્રી તુલસીદાસ મોદી, શ્રી કાન્તિલાલ પરીખ અને શ્રી—-ની ખાંભી આપણને આઝાદીના આ લડવૈયાઓની યાદ કરાવે છે.
બાલાસિનોરમાં શ્રી તુલસીદાસ મોદીની યાદગીરીમાં “તુલસીદાસ મહોલ્લો” નામનું ફળીયું છે તેમજ શ્રી કાન્તીલાલ પરીખની યાદગીરીમાં “કાન્તીલાલ પરીખ પબ્લિક પાર્ક” નામનો બાગ છે.


Powered By