1 ગુરુનો તેના શિષ્યને છેલ્લો ઉપદેશ
તૈત્તિરીય ઉપનિષદમાં શિક્ષાવલી છે, જેમાં ગુરુ - પિતા તેના સ્નાતક શિષ્યને તેનો વિધ્યાભ્યાસ પુરો થયા પછી વિદાય વેળાએ છેલ્લો ઉપદેશ આપે છે. આ ઉપદેશ નીચે પ્રમાણે છે.
સદા સત્ય બોલજે.
સદા ધર્માચરણમાં સ્થિર રહેજે.
સત્યમાં પ્રમાદ કરતો નહિં.
ધર્મમાં પ્રમાદ કરતો નહિં.
સ્વાધ્યાયમાં અને પ્રવચનમાં પ્રમાદ કરતો નહિં.
ભણવામાં અને ભણાવવામાં પ્રમાદ કરતો નહિં.
માતાને તેમજ પિતાને દેવ માનજે.
ગુરુને દેવ માનજે.
અતિથિને દેવ માનજે.
સત કર્મ કરજે, દુષ્કર્મથી દૂર રહેજે.
પિતૃઓ તૃપ્ત થાય તેવા કાર્યો કરજે.
શક્તિ પ્રમાણે દાન દેજે અને જે દાન કરે તે શ્રધ્ધા રાખી દેજે, અશ્રધ્ધા રાખી ન આપીશ. નમ્રતા રાખી દેજે, ઘમંડ રાખીને દાન કરીશ નહિં.
સત્ચરિત્ર થજે.
જ્ઞાનની ભૂખ રાખજે.
હું બધું જાણી ચૂક્યો છું એવું મનમાં કદી ન આણતો. તેમજ જ્ઞાનનો પ્રકાશ જ્યાંથી પણ મળે ત્યાંથી મેળવજે.
આશાવાન થજે.
દ્રઢ મનોબળવાળો થજે.
બળવાન થજે.
આખી પૃથ્વી તારી છે, તારા માટે એ વિત્તથી ભરેલી છે એમ સમજજે.
અન્નનો બગાડ ન કરીશ. અન્નની નિંદા ન કરીશ. અન્નની વૃધ્ધિ કરવાનો સંકલ્પ કરજે.
રોજ રાત્રે સુતા પહેલાં વિચાર કરજે કે મેં આજે કરવા જેવું શું ન કર્યું અને ન કરવા જેવું શું કર્યું.


Powered By